બિમલ માંકડ,કચ્છ: અંજાર ખાતે વેલસ્પન કંપની નજીક આવેલ એસ.બી.આઈ બેંકના એટીએમ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના ભાભર ગામના વતની અને વર્ષામેડી રહેતા ૨૧ વર્ષના નવીન મણિલાલ સોલંકી નામના યુવાનની આજે સવારે એટીએમ સેન્ટરમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચીજવા પામી છે.
આજે સવારે આઠ વાગ્યાના અરસામાં એ.ટી.એમ સેન્ટરમાં કોઈ વ્યક્તિ જતા ત્યાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને મૃત હાલતમાં જોતા પોલીસને જાણ કરાઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા નવીન સોલંકી નામના ૨૧ વર્ષીય સિક્યુરિટી ગાર્ડની લાશ હોવાનું પ્રસ્થાપિત થતાં બેંક કર્મચારીઓ દ્વારા તેના પરિવારજનોને જાણ કરાઇ હતી.
અંગેની જાણ થતાં મૃતકના સાળા મુકેશ અંબાલાલ સોલંકી પહોંચી આવતા તેણે તેને ઓળખી બતાવ્યો હતો અને મુકેશની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી મૃતકની લાશને પીએમ માટે મોકલી આ હત્યા લૂંટના ઇરાદે થઈ છે કે અન્ય કોઈ કારણે તથા હત્યારા કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે પોલીસે એટીએમ ના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ અંજારમાં સનસનાટી મચાવી દીધી છે.
પોલીસે આપેલી વિગતો અનુસાર સવારના ૮:૩૦ વાગ્યાના અરસામાં કોલ દ્વારા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાં સ્થળે ધસી ગયો હતો અને એટીએમ મશીનમાં કોઈ તોડફોડ ન થઈ હોવાનું જણાવ્યું હતું, ત્યારે આરોપીઓનું પગેરું દબાવીને ઝડપીલેવા ચક્રોગતિમાન કર્યા છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ અકબંધ રહેતા રહસ્ય બની રહ્યું છે. આરોપીઓ ઝડપાયા બાદ આ ઘટના પાછળનું રહસ્ય બહાર આવશે ત્યારે હાલ પોલીસ સામે આરોપીઓને ઝડપીલેવા પડકાર છે.
