વિનય પરમાર,રાજકોટ: જિલ્લાની 170 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને આવકવેરા વિભાગે નોટિસ ફટકારતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ નોટીસના લીધે લાલઘૂમ આચાર્ય સંઘ આવકવેરા વિભાગના કમિશનરને મળી રજુઆત કરશે.
વર્ષ 2009 અને 2010નો બાકી રહેતો ટેક્સ ચૂકવવાને લઈને આવકવેરા વિભાગ ગ્રાન્ટેડ શાળાઓને ત્રીજી વખત નોટિસ ફટકારી છે, પરંતુ જિલ્લા અને શહેરની 170 શાળાઓએ ટેકક્ષ ભર્યો હોવા છતાં ઇન્કમટેક્સ દ્વારા એસેસમેન્ટ કરી ત્રીજીવાર રિકવરીની નોટિસ ફટકારી છે. જેમાં રૂ.10 લાખથી લઈ એક કરોડ રૂપિયા સુધીની નોટિસ અપાઈ છે.આ બાબતે આચાર્ય સંઘે કહ્યું છે કે આવકવેરાની ટેક્નિકલ ખામીને લીધે વારંવાર નોટિસ આપી અમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ અંગે આવકવેરા કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવશે.
આવકવેરા વિભાગ જ્યારે જયારે અધિકારીની બદલી કરે છે. ત્યારે આ સમસ્યા ઉધભવે છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ દ્વારા વર્ષ 2009 સુધી પગારમાંથી ટેક્સ કાપવામાં આવતો હતો. ત્યારબાદ નવા પરિપત્રને લઈને 2009 અને 2010ના વર્ષનો ઇન્કમટેક્સ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ટેક્સ કાપવામાં આવ્યો હતો.
આ ટેક્સ ભરપાઈ કર્યો હોવાનો રેકોર્ડ પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાઓને આપવામાં આવ્યો છે. તેમ છતાં આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારતા આચાર્ય સંઘ મેદાનમાં આવ્યું છે.
