હેમંત ડાભી બોટાદ: ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર પાંચ વ્યક્તિ માંથી ૨ ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ બની ગયો હતો. મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ મોટીબોરું ગામ પાસે એક ટ્રક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો, જે ધડાકાભેર સામેથી આવતી તેલંગાણા કાર નં. ટી.એસ08 એચ ડી4608 સાથે અથડાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર રામન્ના બાલા ક્રિષ્ન અને શ્રીનિવાશન ક્રિષ્નમૂર્તિ ના બનાવસ્થળે મોત નિપજ્યા હતા.
વધુમાં મળતી વિગતો મુજબ તેલંગાણાનો પરિવાર સાત નદીનું પાણી લેવા નીકળ્યો હતો અને રસ્તામાં કાળ આંબી ગયો હતો, બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર જણાતા ધોળકા હોસ્પિટલ બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
