પાર્થ મજેઠીયા, ભાવનગર: જિલ્લાના સિહોર નજીકના આંબલા ગામના દેવીપુજકવાસમાં રહેતા અને જેલમાં સજા ભોગવી પેરોલ પર છુટેલા એક કેદીએ તેની પત્ની સાથે આજે ગામથી દુર ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર સાડી વડે લટકી જઈ આપઘાત કરી લેવાની ઘટના બનવા પામી હતી. આ બનાવની જાણ થતા લોકોના ટોળા ત્યાં એકત્રિત થઇ ગયા હતા. જયારે આ બનાવના પગલે સોનગઢ પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને ની લાશ નીચે ઉતારી પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિહોર નજીકના આંબલા ગામના ચકુભાઈ રામજીભાઈ વાઘેલા નામનો વ્યક્તિ કે કોઈ ગુનામાં જેલની સજા કાપી રહ્યો હોય અને જે પેરોલ પર બહાર હોય અને આજે તેમની પેરોલ પૂર્ણ થતા જેલમાં હાજર થવાનું હોય ત્યારે વહેલી સવારે ચકુભાઈ તેની પત્ની ભાવુબેનને લઇ નીકળી ગયા હતા અને ત્યારબાદ ડુંગરાળ વિસ્તારમાં જઈ એક ઝાડ પર સાડી વડે ગળાફાંસો ખાઈ બંને આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ તેના પરિવારજનો અને અન્ય લોકોને થતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને સોનગઢ પોલીસને પણ આ બનાવ અંગે જાણ કરતા તે પણ ત્યાં દોડી ગઈ હતી.પોલીસે બંનેની લાશ નીચે ઉતારી પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આપઘાત કરવા અંગેનું કોઈ કારણ હજુ બહાર નથી આવ્યું જયારે આ દંપતીએ પોતાના ત્રણ સંતાનોની પણ પરવા ન કરી પોતાના જીવનનો અંત આણી દીધો હતો.
